ઇન્દુભાઇ ઈપ્કોવાળા, Indubhai IPCOwala

  indubhai_ipco.jpg

      “સંત-સત્સંગથી ધીરે ધીરે ધન પરનો પોતાનો માલિકીભાવ ક્ષીણ થવા માંડ્યો. તે એટલે સુધી કે, એમ વિચાર આવ્યો કે, ટ્યુબ વેચાય એના ઉપર જ શા માટે? જેટલી ટ્યુબ આપણી આગળ ઉત્પાદિત થઇને  આવે એના ઉપર જ આ નિયમ લાગુ પાડોને ! ધારોકે, પચ્ચીસ હજાર ટ્યુબ આવી તો, એના ઉપર આટલા ભગવાનને આપવાના થાય તે પહેલેથી જ, અગાઉથી જ આપી દેવા. શા માટે ભગવાનના ઉધાર રાખવા? એટલે વેચાણ પર નહિ, ઉત્પાદન પર આ સ્વયમ્ લાદેલો ‘પ્રભુ- ટેક્સ’ આપી દઇને ચિંતામુક્ત થઇ જવાનું “
- ‘ઓજસનો અવતાર’ માંથી

“ઓજસનો કદી અસ્ત થતો નથી.”
માણસ જાય છે. વિચારો ટકે છે, ને એની ‘પ્રજા’ પણ થાય છે.”
- રજનીકુમાર પંડ્યા

# ‘ઇપ્કો’ ની વેબ સાઇટ

________________________________________________

સમ્પર્ક   -  ઇપ્કો હાઉસ, હિમાંશુ બંગલો, પેટલાદ રોડ, નડિયાદ- 387 001   

નામ

ઇન્દુલાલ  મગનલાલ પટેલ

ઉપનામ

ચરોતરના ભામાશા, ચરોતર રત્ન 

જન્મ

7, સપ્ટેમ્બર- 1927 ; ધર્મજ (જિ.  ખેડા)

અવસાન

23, જુલાઈ - 2007 ; અમદાવાદ

કુટુમ્બ

માતા - સૂરજબા; પિતા - મગનભાઇ પટેલ; દાદા - ધોરીભાઇ

પત્ની - શારદા (લગ્ન- 1951) ; પુત્રીઓ - અનીતા, નયના

અભ્યાસ

બી.ફાર્મ  

વ્યવસાય

શરુઆતમાં મુંબાઇમાં મેડીકલ રેપ્રઝેન્ટેટીવ

પછી ધર્મજમાં છીંકણીના સેલ્સમેન

શેષ જીવન -  તમાકુની  ટૂથપેસ્ટ બનાવવાનું કારખાનું - ‘ઈપ્કો’

જીવનઝરમર

બે વર્ષની ઉમ્મરે પિતા પાસે આફ્રિકા ગયા.

પિતા ‘ફોજી’ ના નામે ઓળખાતા, કારણકે કોઇ જરુરતમંદ માગે તો ગજવામાં હોય તેટલા રૂપિયા આપી દેતા. માતા  અત્યંત ધાર્મિક વૃત્તિવાળાં હતાં.

બાળપણમાં તોફાની, થોડા સંગ - કુસંગ, ભણવામાં બેધ્યાન

શાળા અને કોલેજ કાળમાં ભણવામાં હોંશિયાર 

1958 - તમાકુની ટૂથપેસ્ટ બનાવવાનો ‘ફ્લેશ’ થયો - ઓજસનો પહેલો ચમકારો

શરુઆતની જિંદગીમાં સાવ નાસ્તિક, પણ પત્નીના સહવાસે નડિયાદના સંતરામ મહારાજને    સમર્પિત

આવકનો મોટાભાગનો હિસ્સો આપી ‘શારદાબેન ઇન્દુભાઇ ઇપ્કોવાળા ચેરિટેબલ ટ્રસ્ટ’  સ્થાપ્યું અને જાળવ્યું, જેમાંથી કોલેજો, દવાખાના, ગરીબીમુક્તિ, દુષ્કાળરાહત, મંદિરો, ટાઉન હોલ, કેન્સર સંશોધન કેન્દ્ર વિ. માટે લાખોનાં દાન આપ્યાં.

તેમના જમાઇઓ દેવાંગભાઇ અને અવિરતભાઇએ તેમના વ્યવસાય અને ટ્રસ્ટનાં કામો  ઉપાડી લીધાં છે.  

રચનાઓ

તેમની જીવનકથા - ઓજસનો અવતાર ( લે. રજનીકુમાર પંડ્યા)  - તેમને પંચોતેર વર્ષ થયા તે પ્રસંગે લખાયેલ

સાભાર

સપ્તક - ગુજરાત ટાઇમ્સ, ન્યુયોર્ક - રજનીકુમાર પંડ્યા 

———————————————————————————-

રજનીકુમાર પંડ્યાના પુસ્તક વિશે વિચારો -

         ” એક મહિનો અને દસ  દિવસ હું ઇન્દુકાકાના જીવનના અંતરંગમાં , એના ઊંડાણમાં અવગાહન કરતો રહ્યો. મારી સાથે મારી મદદમાં ભાઇ બીરેન કોઠારી પણ રહ્યો. અમને બન્નેને લાગતું હતું કે, અમે કોઇ વન્ડરલેન્ડમાં ફરી રહ્યા છીએ, જ્યાંની ભૂમિ સપાટ નથી. માર્ગો બનાવેલા નથી. કાંટાના અનુભવો હતા. હતાશાની ખીણો હતી. તો આશાની પગથાર પણ હતી. ક્યાંક એકદમ યુ-ટર્ન હતો, ત્યાં ક્યાંક ગેબી શક્તિ હાથ પકડીને દોરતી હોય એમ લાગતું હતું. આકાશ અનેકરંગી હતું, પણ એમાં જે સૂરજ ચમકતો હતો તે માત્ર તેજ ફેંકતો ન હતો, તેજથી ઊંચી કોઇ ચીજ એમાંથી ફૂટતી હતી. તેજથી ઊંચું, તેજથી વધુ દેદીપ્યમાન, દૈવી અને ચોતરફ શાતા ફેરવનાર એવું શું હોઇ શકે? એનું શું નામ હોઇ શકે? એને કહેવાય ‘ઓજસ’

           ઇન્દુકાકા માત્ર તેજસ્વી નહોતા, ઓજસ્વી પણ હતા. ઘણા એને ચહેરાની કાંતિ કહે, ઘણા તેજવલય કહે - પણ એ બન્ને શબ્દોમાં ગ્લેમરનો ઇશારો છે. ઓજસમાં ગ્લેમર( ચળકાટ) ન હોય. શીળું , દૈવી જ્યોત જેવું કોઇ તત્વ હોય. બન્ને વચ્ચે જ્વાળા અને જ્યોતિ જેટલો ફેર છે. પુરુષાર્થ, પ્રતિભા અને પ્રારબ્ધે એમને ધન આપ્યું, પણ એ ધનથી એમનામાં ગરમી ન જન્મી, ગરવાઇ જન્મી અને દ્યુતિનો પ્રાદુર્ભાવ થયો. એમની જીવનયાત્રાનો અર્ક ‘ઓજસ’ શબ્દમાં વરતાતો હતો.

      એટલે પછી અમને ઇન્દુકાકાના પુસ્તકનું શીર્ષક સૂઝ્યું   - ઓજસનો અવતાર”

One Response to “ઇન્દુભાઇ ઈપ્કોવાળા, Indubhai IPCOwala”

  1. અનુક્રમણિકા … અ - થી - અં « ગુજરાતી પ્રતિભા પરિચય Says:

    [...] # ઇન્દુભાઇ ઇપ્કોવાળા [...]

Leave a Reply